ભારતમાં આવેલાં ભગવાન શંકરનાં બાર જ્યોતિર્લિંગ વિશ્વભરના શંકર ભગવાનના ભાવિક ભક્તો માટે હંમેશાંથી આસ્થાનું કેન્દ્ર રહ્યાં છે. તે પૈકીના ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના વેરાવળના દરિયાકિનારે આવેલું સોમનાથનું મંદિર આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. વૈશાખ સુદ પાંચમના દિવસે સોમનાથ પ્રતિષ્ઠા દિન આવે છે.
ઈ.સ. 1947માં ભારત દેશના આઝાદ થયા પછી સરદાર વલ્લભભાઈએ સમુદ્રનું જળ હાથમાં લઈને સોમનાથના જીર્ણશીર્ણ થઈ ગયેલા શિવમંદિરની જગ્યાએ જ નવું સોમનાથ મંદિર બનાવવાનું એટલે કે જીર્ણોદ્વાર કરવાનું નક્કી કર્યું. શિવજીના મહારમેરુ પ્રસાદ મંદિરનું અહીં શિલારોપણ ઈ.સ. 1950ના 8મી મેના રોજ થયું. ઈ.સ. 1951ના 11મી મે, વિક્રમ સંવત 2007ના વૈશાખ સુદ પાંચમના દિવસે સવારે 9-47 કલાકે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદે ભગવાન સોમનાથની પ્રતિષ્ઠા વિધિ કરી હતી.
સોમનાથની કથા
સદીઓ પહેલાંની અતિ પવિત્ર એવા પ્રભાસપાટણની વાત છે. આ ક્ષેત્રના રાજા દક્ષ પ્રજાપતિએ પોતાની 27 કન્યાઓના વિવાહ ચંદ્રદેવ સાથે કરાવ્યા, પરંતુ ચંદ્રને તો માત્ર રોહિણી નામની કન્યા પ્રત્યે જ અનુરાગ હતો. આમ એકને બાદ કરતાં બાકીની 26 કન્યાઓ પતિના આવા પક્ષપાતને કારણે ખૂબ જ દુ:ખી રહેતી. આ બાબતની જાણ થતાં દક્ષ રાજાએ ચંદ્રદેવને ખૂબ સમજાવ્યા. લાખ પ્રયત્ન કરવા છતાં વાતને ન સમજનાર ચંદ્ર પર ક્રોધિત થઈને દક્ષ રાજાએ શાપ આપ્યો કે, `જા, તું જેના પર અભિમાન કરે છે તેવું તારું તેજ ક્ષય થઈ જશે અને તું હંમેશને માટે અદૃશ્ય થઈ જઈશ.’
શાપને કારણે ચંદ્રદેવે પોતાનું બધું તેજ ગુમાવ્યું. તે આ શાપથી ખૂબ જ વ્યથિત થઈ ગયા અને મુક્તિ મેળવવા માટે પિતામહ બ્રહ્માજી પાસે ગયા. તેમણે ઉપાય બતાવતાં જણાવ્યું કે ચંદ્રદેવ મૃત્યુંજય ભગવાનની આરાધના કર. ચંદ્ર સમગ્ર દેવતાઓ સહિત પ્રભાસમાં આવ્યા અને ત્યાં આવીને મૃત્યુંજય ભગવાન ભોળાનાથની અર્ચના અનુષ્ઠાન કર્યું, મૃત્યુંજય મહામંત્રથી પૂજા અને જાપ થવા લાગ્યા.
છ મહિનાનો સમય વીતી ગયો અને દસ કરોડ મંત્રજાપ પૂર્ણ થયા. અંતે ભગવાન શિવ પ્રસન્ન થયા અને પોતાનું તેજ ખોઈને મૃત્યુતુલ્ય બનેલા ચંદ્રમાને અમરત્વનું વરદાન આપ્યું, પરંતુ ચંદ્રએ કરેલો અપરાધ ક્ષમા યોગ્ય ન હતો, તેથી તેમણે કહ્યું, `પંદર દિવસ સુધી તારી એક એક કલા વધતી જશે. છેલ્લે પૂર્ણિમાના દિવસે તું પૂર્ણ ચંદ્રના રૂપમાં આવી જઈશ.’
આ રીતે કલાહીન કલાધર ભોળાનાથની કૃપાથી એકવાર ફરી કલાયુક્ત થઈ ગયો. ચંદ્રમાએ આશુતોષને પ્રાર્થના કરી કે તેઓ પૃથ્વી પરના બાકીના ભક્તોના ઉદ્વાર માટે આ પૃથ્વી પર વસે. તેથી પ્રભાસ ક્ષેત્રમાં જ્યોતિર્લિંગના સ્વરૂપમાં હંમેશને માટે તેમણે વાસ કર્યો. તે દિવસથી ચંદ્રે ભગવાન શંકરને પોતાના ઈષ્ટદેવ માન્યા. ત્યારથી ભોળાનાથ પ્રભાસમાં `ચંદ્રના નાથ’ નામથી પૂજાય છે. સોમ એટલે ચંદ્ર. કળિયુગમાં તેઓ `સોમનાથ’ના નામથી પૂજાય છે.